11/3/09

રાષ્ટ્રીય સેવા યોજના શિબિરનો અહેવાલ



તારીખ - ૫/૧૦/૨૦૦૯ થી ૧૦/૧૦/૨૦૦૯ એમ છ દિવસ દરમ્યાન પાટણ જીલ્લાના સમી તાલુકાના ફતેહપુર ગામમાં યોજાયેલ રાષ્ટ્રીય સેવા યોજના (એન.એન.એસ.) શિબિરનો અહેવાલ અત્રે પ્રસ્તુત કરું છું.


તારીખ -૫/૧૦/૨૦૦૯ને બપોરે ૧:૩૦ કલાકે અમે ( ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ વર્ષ-૧ના વિદ્યાર્થીઓ) ૧૮ વિદ્યાર્થીઓ તથા અશ્વિન સર વિદ્યાપીઠથી તૂફાન (ગાડી)માં નીકળ્યા. અમને મુકવા માટે વિભાગાધ્યક્ષ વિનોદ પાંડે તથા પુનિતા મેડમ આવ્યા હતા.ગાડીમાં બધા આનંદ-પ્રમોદને મસ્તી કરતા હતા. બધા ગુજરાતી ગીત,ગઝલ,દેશભક્તિ ગીત, હિન્દી ગીત,ગાતા હતા ને સમયને માણતા હતા. ગામ નજીક પહોચતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધતો જતો હતો. અંતે ૪:૩૦ કલાકે અમે ફતેહપુરના ' ગ્રામજ્યોતી ઉતર બુનિયાદી વિદ્યાલય ' પ્રાંગણમાં પહોચ્યા, ત્યાંના આચાર્ય હર્ષદભાઈ રાવલ, ગૃહપતિ મુકેશભાઈ તથા તેમના વિદ્યાર્થીઓએ અમારું ઉમળકાભેર સ્વાગત કર્યું. આ કેમ્પસની વિશિષ્ટતા એ હતી કે અહી નીરવ શાંતિ વ્યાપેલી હતી. શહેરના કોલાહલ, ઘોંઘાટ ભરેલા વાતાવરણમાંથી અહી આવતા એક અદભૂત પ્રકારનો અનુભવ, રોમાંચ થયો. દિલમાં એક પ્રકારનો સંતોષ વળ્યો.


આ ગામ વિશિષ્ટ પ્રકારના ભૌગોલિક વિસ્તારથી ઘેરાયેલું છે. પાટણ સિવાય અન્ય ત્રણ જીલ્લા સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણાની સરહદ નજીકમાંથી લાગુ પડે છે. બહુ જવેલ્લજ આ પ્રકારનું વિશિષ્ટ સ્થાન જોવા મળે. ફતેહપુર ગામમાં ૧૫૦ ઘર આવેલા છે. ૨૦૦૧ની વસ્તી ગણતરી મુજબ ગામની વસ્તી ૬૩૮ જેટલી હતી. ગામમાં ઠાકોર તથા રાવલ જેવી જ્ઞાતિઓ વસે છે. રૂપેણ નદીમાં ૧૯૭૫માં પૂર આવ્યું હતું, તેને આખા ગામને બરબાદ કરી નાખ્યું હતું. હાલમાં જે ફતેહપુર ગામ છે તે નવું વસેલું છે. તેમની સ્થાપના ૧૯૭૬માં દયાશંકરભાઈએ કરી હતી. ગામના વસવાટના ૨૨ વર્ષ બાદ વીજળી અહી પહોચી હતી. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. ગામનો અમુક વર્ગ ખેતમજુરી કરે છે. તેમને ૭૦ રૂપિયા મજુરી પેટે ચુકવવામાં આવે છે.મુખ્ય પાક તરીકે એરંડા, બાજરી, કપાસનું વાવેતર કરવામાં આવે છે.


ગામમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે. અહી પ્રાથમિક તથા માધ્યમિક શાળા આવેલી છે. ૧૦મા ધોરણમાં ૭૦ ટકા જેવું રીઝલ્ટ આવે છે. શાળામાં હાલમાં જ ૧૪ કોમ્પ્યુટર આવેલા છે. ગામમાં આરોગ્યની કોઈ સુવિધા નથી. કંઈ પણ બીમારીના ઉપચાર માટે બાજુમાં બહુચરાજી જવું પડે છે.ગામમાં વ્યસનનું પ્રમાણ સારા એવા પ્રમાણમાં જોવા મળે છે. સ્ત્રીઓમાં છીંકણી સુંઘવાનું વ્યસન છે, પુરુષો મસાલા, ગુટખા તથા દારૂનું સેવન કરે છે. નદી કિનારે દારૂની ભઠ્ઠીઓ આવેલી છે. ત્યાં દારૂ બનાવામાં આવે છે.પોલીશ હપ્તા ઉઘરાવી દારૂની ભઠ્ઠીવાળા સામે આંખ આડા કાન કરે છે. ત્યાંના પ્રાથમિક શાળાના આચાર્યશ્રી એ રમુજમાં કહ્યું હતું કે - ' અમારું ગામ જો કોઈ બાબતથી જુદું પડતું હોય તો તે બાબત દારૂ છે. છોકરા-છોકરીના લગ્ન અઢાર વર્ષની ઉમરે કરવામાં આવે છે.બાળવિવાહનું પ્રમાણ જોવા મળતું નથી. સ્ત્રીભ્રૂણ હત્યાનું પ્રમાણ નહિવત છે. લગ્નનો ખર્ચ ૧ લાખ જેટલો થાય છે.દેવું કરીને પણ દીકરીને સારી એવી ઘરવખરી કરિયાવર તરીકે આપવામાં આવે છે.સાથોસાથ ગામમાં અંધશ્રદ્ધાનું પ્રમાણ ઘણું બધું જોવા મળે છે. નવરાત્રીમાં ભૂવા-ડાકલાનું પ્રમાણ જોવા મળે છે. ભગવાનને બલી ચઢાવવાનો રિવાજ છે, બલી તરીકે બકરીનો ઉપયોગ કરવામાં આવે છે.લોકોનું માનવું છે કે અશક્ય કામ હોય તો પણ માતાજીને બલી ચઢાવવામાં આવે તો માતાજી કાર્ય પૂરું કરે છે. તેમનું માનવું છે કે વિશ્વાસને શ્રદ્ધાથી ગમે તે માનો માતાજી અવશ્ય કાર્ય પૂર્ણ કરે છે. જનાબ જલન માતરીનો એક શેર અહી યાદ આવે છે -
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર ?
કુરાનમાં તો ક્યાંય પયગમ્બરની સહી નથી

.
આ ગામ રળિયામણી રૂપેણ નદીના કિનારે વસેલ છે. રૂપેણ નદી કુંવારી નદી ગણાય છે. તેનું પાણી સમુદ્રમાં નથી ભળતું, પરંતુ રણમાં જ સમાય જાય છે. આ નદીમાં ન્હાવા માટે અમે નીકળ્યા માર્ગમાં અશ્વિનસરે અમને ગામની રીત-ભાત, રહેણી-કરણીથી વાકેફ કરાવ્યા. ' પોદળામાં સાઠો ' એ કહેવત કઈ રીતે ઉતરી આવી એ પ્રેક્ટીકલી રીતે સમજાવ્યું. બધાએ નદીના પાણીમાં છબછબીયા કર્યા, જલક્રીડાઓ કરી, રેતીમાં પગલા, પાડી ફોટા પાડ્યા,પાણીમાં વીરડો ગાળ્યો. બધાએ નદીમાં ન્હાવાનો લખલૂટ આનંદ લૂટ્યો.

રૂપેણ નદી ફતેહપુર ગામ તથા આજુબાજુના વિસ્તારને ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે, જેમકે- સિંચાઈ માટે, પીવાના પાણી માટે વગેરે.પરંતુ રૂપેણ નદીમાં અતીતમાં એટલે કે ૧૯૭૫ની સાલમાં ભયંકર પૂર આવ્યું હતું, ત્યારે તેણે ફતેહપુર ગામને તબાહ કરી નાખ્યું હતું. હાલ જે ફતેહપુર છે તે નવું વસેલ છે. આ પૂરમાં અનેક માણસો ડૂબ્યા અને મોતને ભેટ્યા. ત્યારે કલાપીની એક પંક્તિ નું સ્મરણ થઇ આવે છે -

' જે પોષતું તે મારતું, એવો દીસે ક્રમ કુદરતી.'

નદીમાં ડૂબતા સાત છોકરાને ગામની જુબેર નામની છોકરીએ બચાવ્યા હતા.આશ્ચર્યની વાતતો એ છે કે જુબેરના દિયરને ભણવામાં જુબેરનો પાઠ આવતો હતો. બીજી નવાઈની વાત કે તેના દિયર ને ત્યારે જાણ ન હતી કે આ પાઠમાં જે કન્યા આવે છે,તે મારા ભાભી જ છે. જુબેરની આ બહાદુરી ખરેખર પ્રશંસનીય ગણાવી શકાય. જે કાર્ય યુવાનો ન કરી શકે તે કાર્ય આ યુવતી એ કરી બતાવ્યું. આનંદની વાત તો એ છે કે તેની બહાદુરીની નોંધ મીડીયાવાળાઓએ પણ લીધી હતી, તેના પર એ સમયે અનેક સ્ટોરી પણ બની હતી . હિન્દી ફિલ્મોની એ વખતની પ્રસિદ્ધ અભિનેત્રી આશા પારેખે તેને પગમાં ઝાંઝર પહેરાવી તેનું સન્માન કર્યું હતું .આ ઉપરાંત તેને ઘણા એવોર્ડો મળ્યા હતા. જેબરે આ સાહસ કર્યું ત્યારે તેની ઉમર ૧૫થી ૧૭ વર્ષની હતી. ખરેખર યુવાનોને પણ શરમાવે એવું આ અદભૂત સાહસ હતું. દેશમાં આવી વીરાંગનાઓની તાતી જરૂરિયાત છે.

સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો તેમાં દલિતોના પ્રશ્નોને વાચા આપતી એવી ' મારગ ' સંસ્થાના ચેરમેન લાલજીભાઈ તથા હર્ષદભાઈ ઉપસ્થિત હતા. આ કાર્યક્રમમાં વિદ્યાલયના બાળકોએ, મેં ,તથા મારા સાથી મિત્રોએ દુહા, છંદ, ભજન, ધૂન, જોક્સની રમઝટ બોલાવી હતી .લાલજીભાઈએ અમને આજુબાજુના વિસ્તારથી વાકેફ કરાવ્યા હતા. આજુબાજુના વિસ્તારની આર્થિક, સામાજિક, રાજકીય, ઐતિહાસિક સ્થિતિથી અમને અવગત કરાવ્યા. બધી પરિસ્થિતિનો ચિતાર અમારી સમક્ષ રજુ કર્યો. બધાએ કાર્યક્રમમાં હોંશભેર ભાગ લીધો. બધાના ચહેરા પર અનોખા પ્રકારનો આનંદ તરવરતો હતો. અંતે કાર્યક્રમ પૂરો થતા સહુ ઊંઘવા અગાશી પર ચડ્યા અગાશી પરથી આકાશનો અદભૂત નજારો નજરે ચડ્યો. શહેરમાં તારાથી ખચિત નભોમંડળ જોવા મળતું નથી, અહી એ નજારો માણી શક્યાં.

પ્રસન્ન ચહેરે સહુ નિંદ્રાધ્યાન થયા. એકંદરે આખો દિવસ અમારા માટે અનોખો હતો. કહી શકાય કે અમારા માટે આ દિવસે ' સોનાનો સુરજ ઉગ્યો ' હતો . અમે ખુબ જ આનંદ લુંટ્યો સાથે ઘણું બધું જોયું -જાણ્યું, માણ્યુંને અનુભવ્યું .


તારીખ-૬/૧૦૨૦૦૯ સવારે ઉઠીને બધા ન્હાય ધોઈને તૈયાર થયા. સવારમાં કેમ્પસની સફાઈ કરી. ત્યાર બાદ અમારે ગ્રામસંપર્ક માટે જવાનું હતું, તેથી બધા વિદ્યાર્થીઓને ચાર જૂથોમાં વહેચવામાં આવ્યા. અમારા જૂથના ટુકડી નાયક તરીકે મારી નિમણુંક કરવામાં આવી. જૂથની જવાબદારી મને સોપવામાં આવી. અમારા જુથમાં મયુર, પરાગ, દેવ, નરેશ, નમ્રતા સહિત અમે છ વ્યક્તિઓ હતા. બધા જૂથો લોક સંપર્ક માટે ગામમાં નીકળ્યા. અમારા રાહબર તરીકે કેમ્પસનો વિદ્યાર્થી અલકેશ પી. ઠાકોર જોડાયો હતો. બધાએ ગામમાં જઈ લોકોનો સંપર્ક કર્યો, તેના રીતિ-રીવાજો, તેમના આર્થિક, સામાજિક, પ્રશ્નો અમે જાણ્યા.

૧૧ વાગ્યેના સુમારે અમે પ્રાથમિક શાળાની મુલાકાત લીધી. ત્યારે શાળામાં પ્રાર્થના ચાલતી હતી. ત્યાર બાદ ' ફૂલડાં કોને ચડાવું ' ભજન ગવાયું, છોકરાઓએ આજનું ગુલાબ કર્યું. છોકરાઓ દ્વારા પાળા બોલવામાં આવ્યા. ત્યારબાદ અમે વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરીને તેમના ફોટાઓ પડ્યા.

બપોર બાદ અમે લાલજીભાઈની વાડીએ જવા નીકળ્યા ત્યાં માર્ગમાં અશ્વિનસરે અમને ખેતરમાં વવાતા વિવિધ પાકોની માહિતી આપી તો વળી સાથોસાથ કેટલાક પક્ષીઓ વિષે પણ માહિતી આપી જેમકે - ' હુળો ' (ઘંટી ટાંકનો), ' બોઇટર ' -આ પક્ષીની વિશિષ્ટતા એ છે કે તે ઉડીને માખી મચ્છર ખાઈ છે. એ વધુ પડતું તાર પર જોવા મળે છે. 'ચાસ' -એ બ્લયુ કલરનું પક્ષી છે. ' બ્લેક ડ્રોગો ' (કાળો કોશી) - એ બધા પક્ષીનો અવાજ કાઢી શકે છે. ' ગોલ્ડન ઓરીયલ ', ' ચીબરી ', ' ઘુવડ ' , ' તેતર' જેવા પક્ષીઓની જાણકારી અમને આપી. સહુને એક નવા જ પ્રકારનો અનુભવ હતો. બધાએ ખૂબ જ રસપૂર્વક બધું સાંભળ્યું. ગુજરાતમાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતા ' બાવળ ' વિષે માહિતી આપતા કહ્યું હતું કે ઈ.સ.-૧૯૫૫ની આસપાસ ઈઝરાયેલમાંથી આવ્યા છે . તેમને અહી રણ આગળ વધતા અટકાવવા માટે લાવવામાં આવ્યા હતા.ત્યારબાદ તે સમગ્ર ગુજરાતમાં ફેલાય ગયા. આ માહિતી પણ અમારે માટે નવી હતી. અંતે અમે લાલજીભાઈની વાડી ' કામધેનું પ્રયોગવાડી ' માં આવી પહોચ્યા , ત્યાં વાડીની આગળ એક બોર્ડ મારેલું હતું તેમાં લખ્યું હતું - ' હાલો ભેરુ ગામડે ' તેમાં તેનો ગામડા પ્રત્યેનો પ્રેમ , ગામડાપ્રત્યેનું વળગણ દેખાય આવે છે. લાલજીભાઈને ત્યાં ૮૦ વીઘાનું યુનિટ છે, તેના પર આઠ પરિવાર નભે છે. તેમને ભેસનો તબેલો છે. ૨૦૦૮ની સાલમાં લાખનું દૂધ વેચ્યું હતું. પશુપાલન પર ત્રણ પરિવાર નભે છે. લાલાજીભાઈએ અમને પશુપાલન ,ખેતી વિશે માહિતી આપી. તેમને અમને ગાયો તથા ભેસોની જુદીજુદી ઓલાદો બતાવી તેના વિશે વિગતે ચર્ચા કરી. ગાય,ભેસને ક્યાં રોગ લાગુ પડે છે, તેના ઉપાયો, કેટલું દૂધ કાઢે છે, કઈ ગાય ભેસની શી વિશિષ્ટતા, કોનો ભાવ કેટલો હોય છે, તે કેટલા મહિના દૂઝે છે,વગેરે વિશે માહિતી આપી. ગોબર ગેસ પ્લાન્ટ વિશે માહિતી આપતા તેમણે કહ્યું કે ગોબર ગેસ ઘર આંગણે સ્થાપવા માટે ૧૧ હજાર જેટલો ખર્ચો થાય છે. તે સ્થાપવા માટે સરકાર તરફથી સબસીડી પણ મળી રહે છે, આપણો ખર્ચ રૂપિયા ૩ -૪ હજાર જેટલો થાય છે. તેમણે જણાવ્યું કે ઈટાલીમાં યંત્રો વડે ઘેટા દોવાય છે. ઘેટાઓને વાડામાંથી આગળ દાણા નાખવામાં આવે છે, ઘેટા તે ખાવા ક્રમસર આગળ વધે ત્યારે તેના આંચળ પર યંત્રો ગોઠવી દેવામાં આવે છે.તે દાણા ખાઈ લે ત્યાં તે દોવાય જાય છે. આપ્રક્રિયા ઝડપી છે, સાથોસાથ નુકશાનકારક પણ નથી. એકંદરે બધાને પશુપાલન તથા ખેતી વિષે એક્સક્લુઝીવ માહિતી મળી બધાએ ખૂબ જ તન્મયતા તથા ઉત્કટતાથી માહિતી મેળવીને પોતાની ડાયરીમાં નોંધ પણ કરી.

સાંજના ભોજનમાં બજારના રોટલા બનાવવામાં આવ્યા આ રોટલાની વિશિષ્ટતા એ હતી કે આ રોટલા તરુલતા, હિના, દિપમાલા, ઉર્વી અને નમ્રતાએ બનાવ્યા હતા. તેઓ માટે રોટલા બનાવવાનો અનુભવ નવો જ હતો.ત્યાર બાદ બધાએ તેમણે બનાવેલા રોટલાની મીઠાશ માણી . રાત્રે ડોક્યુમેન્ટરી ફિલ્મ 'ધર્મ ' જોઈ .તેમાં સાચો ધર્મ કોને કહી શકાય તેની વાત રજુ કરવામાં આવી છે. સાચો ધર્મ તે માનવ ધર્મ . તેમાં પં.ચતુર્વેદીનું પાત્ર પંકજ કપૂરે ભજવ્યું છે. વિદ્વતાના નામે ઢોંગ કરતા પંડિતો પર વ્યંગ કરવામાં આવ્યો છે. પંડિતજી જ્ઞાન ,વિદ્વતાની મોટી મોટી વાતો કરે છે, ધર્મગ્રંથો ઉથલાવે છે, અછુતોથી અભડાઈ છે. પંડિત માનવ ધર્મની ઉપેક્ષા કરે છે . અંતે તેને ખરું સત્ય સમજાય છે. અહી યુ. આર.અનંતમૂર્તિ લિખિત ' સંસ્કાર ' નોવેલનું સ્મરણ થઇ આવે છે.તેમાં પણ આ રીતનો પ્રશ્ન ચર્ચવામાં આવ્યો છે. અહી કવિ ઉમાશંકર જોશીની એક પંક્તિનું સ્મરણ થઇ આવે છે.
- " વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી માથે ધરું ધૂળ વસુંધરાની "

તથા કવિ સુન્દરમે પણ કહ્યું છે -
" વસુંધરાનો વસુ થાઉં સાચો ,હું માનવી માનવ થાઉં તોઘણું"



તારીખ- ૭/૧૦/૨૦૦૯ સવારે ઉઠીને અમે ગ્રામ સફાઈમાં જોડાયા બધાએ તેમાં ઉત્સાહપૂર્વકભાગ લીધો,અમારી સાથે અશ્વિનસર પણ જોડાયા હતા .પછી અમે જૂથ પ્રમાણે ગ્રામસંપર્ક માટે નીકળ્યાને ગામના માણસોને ઘરે જઇને મળ્યાને તેની સમસ્યાઓ જાણી. ૧૧ વાગ્યે પ્રાથમિક શાળામાં પહોચ્યા ત્યાં બાળકો સાથે પ્રાર્થનામાં ભાગ લીધો ત્યાં વિષ્ણુએ 'જયપુરના રાજાની રાણી' નામનું બળગીત ગવડાવ્યું , અશ્વિનસરે બાળકોને રમતો રમાડી. બાદમાં વિધાર્થીઓએ આંક બોલાવ્યા . પ્રાથમિક શાળાના આવા વાતાવરણથી અમે અમારા અતીતમાં સારી પડ્યા. અમારા પ્રાથમિક શાળાના સંસ્મરણો તાજા થઇ ગયા. અમે બાળકો સાથે બાળક બની ગયા. જે યાદગાર પ્રસંગ બની ગયો. બાદમાં પ્રાથમિક શાળામાં પોસ્ટર પ્રદર્શન ગોઠવ્યું. તેમાં સ્વચ્છતા, વ્યસનથી થતા ગેરલાભો,ખેતી વિષયક સાધનોની માહિતી જેવો પોસ્ટરો હતા. હિના, દિપમાલા, નમ્રતાએ બાળકોને પોસ્ટર વિગતે સમજાવ્યા. બાળકો તેને ખૂબ જ ધ્યાનથી સાંભળતા હતા. તેઓ જયારે વ્યસનની ભયંકરતા વિષે સમજાવતા હતા,ત્યારે બાળકોના મોઢા પર ગંભીરતા દેખાતી હતી. તેઓ ભવિષ્યમાં વ્યસન ન કરવા કટિબદ્ધ થયા. અમને બધાને દિલથી આનંદ થયો કે કોઈક ને તો નવો રાહ બતાવી શક્યા અમારું જીવન ખરેખર ધન્ય બની ગયું.

બપોર બાદ અમે દલિતોના પ્રશ્નોને વાચા આપતી, દલિતોના પ્રશ્નો માટે લડતી એવી બહુચરાજી સ્થિત ' મારગ ' સંસ્થાના કાર્યાલયે પહોચ્યા . ત્યાં કરણ ભાઈ, વિષ્ણુ ભરવાડ, સ્મિતા બેન, શૈલેશ ભાઈ, કલાજી ઠાકોર, કૌશિક ભાઈ વગેરે કાર્યકરોએ અમારું ઉમળકાભેર સ્વાગત કર્યું. તેઓએ સંસ્થા કેવી રીતે કાર્ય કરે છે, તેનો ઉદ્દેશ્ય શો છે, તેઓને નડતા પ્રશ્નોની અમારી સાથે મોકળા મને ચર્ચા કરી . કાર્યાલયની ઓફિસમાં ભીંત પર પોસ્ટરો હતા તેના પર સુત્રો હતા. -
" ભેદભાવ મિટાવી દઈએ, ચાલો સહુ ભણવા જઈએ "
" ભાઈ-બેન સાથે ભણે માવતરને એ ખૂબ ગમે "
આ સંસ્થા - ' BJPD V/S KADAM ' ની લડાઈ લડે છે ( તેમાં B - બ્રાહ્મણ, J - જૈન, P- પટેલ, D દરબાર ) BJPD વિરુદ્ધ KADAM ની લડાઈ ( K - કોળી (ઠાકોર), A - આદિવાસી, D -દલિતો, A - અગરિયાઓ, અને M - મહિલા, માલધારી, મુસ્લિમ માઇનોરીટી )કહેવાતા સવર્ણો દલિતો પર જે અત્યાચાર આચરે છે તેની વિરુદ્ધ જંગ લડે છે. આ ઉપરાંત આ વિસ્તારના પ્રશ્નો જેવા કે - રોજગારી, અસ્પૃશ્યતા, પાણીના પ્રશ્નો, ખેત મજુરોના પ્રશ્નો વગેરે સામે પણ લડત ચલાવે છે,અને તેને યોગ્ય ન્યાય મળી રહે તેવા પ્રયત્નો કરવામાં આવે છે આ સંસ્થાનું સુત્ર છે - ' હાથ જોડો, માટલા તોડો, જરૂર પડેતો હાથ તોડો ' ત્યાંથી અમે ગુજરાતનું પ્રખ્યાત ને જોવાલાયક સ્થળ 'મોઢેરાનું સૂર્ય મંદિરે' આવી પહોચ્યા. ભારતમાં બે જ સૂર્યમંદિરો છે.એક કોર્ણાકનું સૂર્યમંદિર ને બીજું મોઢેરાનું સૂર્યમંદિર. મોઢેરાના સૂર્યમંદિરનું કોતરકામ જોઈ અમે સહુ આશ્ચર્ય પામી ગયા. શિલ્પીઓએ પોતાનો પ્રાણ રેડી કોતરકામ કરેલું છે. ત્યાંથી પાછા ફરતી વેળાએ શંખલપુર માતાજીના દર્શન કરી પરત ફર્યા . રાત્રે ગ્રામ જ્યોતિ ઉતર બુનિયાદી વિદ્યાલય કેમ્પસની અન્ય બીજી શાખાના શિક્ષકો આવ્યા તેની સાથે રસપ્રદ ચર્ચા થઇ તથા બધાએ ગીત ગઝલની રમઝટ બોલાવી.



તારીખ - ૮/૧૦/૨૦૦૯ના રોજ અમારે માટે યાદગાર દિવસોમાંનો એક છે, કારણકે સવારે બધા ઉઠીને વૃક્ષારોપણ કાર્યક્રમમાં જોડાયા. મેં ક્યારેય પણ ભૂતકાળમાં આ પ્રકારના કાર્યક્રમમાં ભાગ લીધો ન હતો. અમે સહુએ તુલસીના રોપા સહીત અન્ય ૧૦૦ રોપા રોપ્યા. બધા વિદ્યાર્થીઓએ તેમાં હોશભેર ભાગ લીધો .ત્યારબાદ કેમ્પસના માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ સાથે સમય ગાળ્યો. ભરત તથા યજ્ઞેશે વિદ્યાર્થીઓને રમતો રમાડી, વ્યસનમુક્તિ વિશે, સ્વચ્છતા વિશે, જ્ઞાન વિજ્ઞાન વિશેની વાતો કરી હતી. બાળકોએ પણ તેમાં હોશભેર, ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
સાંજે અમે સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી તાલુકાના મેરા ગામેતે ચાલતા ચાલતા ગયા. રસ્તામાં અમે ફોટોગ્રાફીની મજા માણતા માણતા આગળ વધ્યા. અંતે અમે મેરા પહોચ્યા. ગામમાં પ્રવેશતા બાજુમાં 'જય શક્તિ દૂધ ઉત્પાદક સહકારી મંડળી ' હતી. ગામના ૭૦ ટકા લોકો નોકરી કરે છે. આ ગામમાં બેસતા વર્ષને દિવસે ગામની બધી ગાયોને એક ખેતરમાં એકઠી કરીને દોડાવવામાં આવે છે. જે ગાય પ્રથમ નંબરે આવે તેના માલિકને ઇનામ આપવામાં આવે છે.આજે પણ આ રીવાજ ચાલુ છે. બધાએ ગ્રામદર્શન કર્યું બાદમાં રાજપૂત રાઠોડમાંથી ધર્મ પરિવર્તન કરી મુસલમાન ધર્મ અંગીકાર કરનાર માલિક હાઝમના ઘરે ગયા . તેઓ મેરા પ્રાથમિક શાળાના આચાર્ય તરીકેની જવાબદારી સંભાળે છે.તેઓ રીતિ-રીવાજો મુસ્લિમ ધર્મના પાળે છે. તેની સાથે ગામ વિશેની ચર્ચા કરી . રાત્રે ' અમૂ ' ડોક્યુમેન્ટરી ફિલ્મ જોઈ . આ ફિલ્મમાં ઇન્દિરા ગાંધીએ ૧૯૮૪માં મંદિરમાં ઘૂસેલા આતંકવાદીનો ખાતમો બોલાવવા માટે ' ઓપરેશન બ્લયુ સ્ટાર ' કર્યું હતું તેમાં અનેક શીખો માર્યા ગયેલા. બાદમાં સમગ્ર ભારતમાં શીખ રમખાણ ફાટી નીકળેલા . આ રમખાણોમાં ભોગ બનેલી એક યુવતી 'અમૂ' ની પોતાના માત-પિતાને શોધવાની મથામણની આમાં વાત કરવામાં આવી છે.



તારીખ - ૯/૧૦/૨૦૦૯ના રોજ બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વિવિધ પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી કે જેનાથી બાળકોમાં છુપાયેલી સર્જનાત્મક શક્તિ બહાર આવે તથા જ્ઞાન સાથે ગમ્મત મળી રહે એ પ્રકારની પ્રવૃત્તિ યોજવામાં આવી હતી. જેમાં હીચકા વિભાગ ફાળવવામાં આવ્યા હતા. બાળકોને હીચકા ખવડાવોનો એ એક જુદો જ અનુભવ હતો, તે જોઇને દિલને સંતોષ થાય છે, કે આપણા દ્વારા કોઈ એટલા પ્રસન્ન થાય .આ બાળમેળા માં અશ્વિન સર તથા હર્ષદ ભાઈ રાવલે માથે સાફા બાંધ્યા હતા. તેને કારણે કાર્યક્રમમાં ચાર ચાંદ લાગી ગયા હતા. હર્ષદ ભાઈ પણ બાળકો સાથે બાળક બની, મન મૂકી નાચી ઉઠ્યા હતા. આ બાળમેળો એ માત્ર બાળકો માટેનો જ મેળો ન હતો, પણ સહુ કોઈ માટેનો હતો. આ મેળામાં જુદા જુદા વિભાગો હતા. તેનો ઉદ્દેશ્ય માત્ર આનંદ મળે એવો જ હતો. પણ તેની સાથે તે ભવિષ્યમાં કંઇક ઉપયોગી સાબિત થઇ શકે એવો પણ હતો. જેમકે- 'માટીના રમકડા' ભવિષ્યમાં રોજગારી પ્રાપ્ત થઇ શકે. 'સંગીત વિભાગ', 'નૃત્ય વિભાગ', બાળકો પોતાની રીતે નૃત્ય કરી શકે, તેને યોગ્ય માર્ગદશન આપવામાં આવે.જેથી ભવિષ્યમાં તેને તે ઉપયોગી સાબિત થઇ શકે. 'રમત-ગમત વિભાગ' ૧૦-૧૨ ના ગ્રુપમાં વિદ્યાર્થીઓને જુદી જુદી રમતો રમાડવામાં આવેછે. 'ગ્રીટિંગકામ' , 'દોરીકમ', 'ઝરીકામ', રેતીકમ', 'ચાર્ટકામ', 'ભરતકામ', 'ઓઈલ કાર્ડ', 'નાસ્તા વિભાગ', 'ચિત્ર વિભાગ', 'મહેંદી વિભાગ', 'શબ્દ વિભાગ', - આ બધા વિભાગો એક ય બીજી રીતે ઉપયોગી થાય એ પ્રકારના હતા. બધાએ એકબીજાને આનંદ કરાવ્યો તથા પોતે આનંદ માણ્યો બધા બાળકો સાથે બાળક બની ગયા. બાળમેળામાં સહુ સરળ, સહજ, નિર્મળ,નિર્દોષ, બનીને ભાગ લીધો હતો. બપોર બાદ સંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તેનું સંચાલન વિષ્ણુ રબારીએ કર્યું હતું. ઉપસ્થિત બધા શિક્ષકો વિદ્યાર્થીઓએ ભારતના નકશા પર દીપ પ્રગટાવી કાર્યક્રમનું ઉદઘાટન કર્યું હતું. દીપમાલાએ પણ દીપ પ્રાગટ્ય કર્યું હતું. આ તકે પરાગ પંડિતે સંસ્કૃત શ્લોકોનું પઠન કર્યું હતું. ભારત દેશની એકતા ને અખંડીતતાને રજુ કરતુ 'ઓ હિન્દ દેશ કે નિવાસી' ગીત ગાવામાં આવ્યું હતું. બાદમાં બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા, અમારા મિત્રોએ પણ વિવિધ ગીતો રજુ કર્યા . જેમકે - હિનાએ ગુજરાતની એકતાને રજુ કરતુ ' અમે છીએ ગુજરાતી ' ગીત રજુ કર્યું. વિષ્ણુએ દુહા છંદ લલકાર્યા . ભરતે - 'ખુદા તારી કસોટીની પ્રથા' ગઝલ ગાઈ. અંતે રાસ ગરબાની રમઝટ બોલી, બધાએ ગરબા લીધા. સાંજે તાન્ત્રેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા ગયા. ત્યાં બાજુમાંથી રળિયામણી રૂપેણ નદી વહે છે. ત્યાં બધાએ પાણીમાં ઠંડકનો અનુભવ મેળવ્યો હતો , હર્ષદ ભાઈ પણ તેમાં જોડાયા. ભરત તથા અશ્વિનસરે પ્રકૃતિના તથા બધા જે ન્હાવાનો નદીમાં આનંદ લૂટતા હતા. તેને કેમેરાના કચકડામાં મઢ્યા.


તારીખ - ૧૦/૧૦/૨૦૦૯ આજે રોજ અમારી શિબિર નો આખરી દિવસ હતો. સહુ એ સવારમાં સફાઈ કરી.બાદમાં વેશભૂષાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં બાળકોને વેશભૂષા કરી તૈયાર કરવાના હતા. તે અંતર્ગત જુદા જુદા ગ્રુપ પાડવામાં આવ્યા. અમારા ગ્રુપનું નામ - આઝાદ રાખ્યું હતું .આ ઉપરાંત 'ભગત સિહ', 'નર્સ', 'શિવાજી', 'ઝાસીની રાણી', જેવા ગ્રુપો પણ રાખવામાં આવ્યા હતા.તેમાં પહેલો નંબર 'શિવાજીના' ગ્રુપનો આવ્યો હતો. ત્યાર બાદ પ્રતિભાવો આપવાનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. તેમાં બધાએ પોતાને ગમતી પ્રવૃત્તિ વિશે વાત કરી હતી . બપોરબાદ ભોજન કરી સાથે ૧ :૩૦ કલાકે ફતેહપુરથી વિદાય લીધી હતી ને ૪:૩૦ કલાકે ગૂજરાત વિદ્યાપીઠ મુકામે પહોચ્યા હતા .

No comments: